ગુરુવાર, જુલાઈ 04, 2013

શ્રી નારાયણ કવચ







શ્રીમદ ભાગવતના છટ્ઠા સ્કંધના આઠમાં અધ્યાયમાં શ્રી નારાયણ કવચ ત્વષ્ટા ઋષિના પુત્ર વિશ્વરૂપ ઇન્દ્રને કહે છે.

વિશ્વરૂપ કહે છે જયારે ભયનો સમય પાસે આવ્યો હોય ત્યારે મનુષ્યે હાથપગ ધોઈ આચમન કરી ઉત્તર દિશા તરફ મુખ રાખી નારાયણ કવચનો પાઠ કરવો. જયારે ભય આવે ત્યારે શ્રી નારાયણ રૂપનામ બખતર ધારણ કરવું.

નારાયણ કવચ:

ગરુડની પીઠ પર ચરણકમળ ધારણ કરનારા, આઠ સિદ્ધિઓવાળા, આઠ બાહુઓવાળા અને તે આઠ બાહુઓ વિષે શંખ, ચક્ર, ઢાલ, ગદા, બાણ, ધનુષ તથા પાશને ધારણ કરનારા શ્રીહરિ મારી સર્વ પ્રકારે રક્ષા કરો.

જળમાં મતસ્યાવધારી ભગવાન જલજંતુઓથી તથા વરુણના પાશથી મારી રક્ષા કરો. માયાથી બટુક બનેલા વામનજી સ્થળમાં મારી રક્ષા કરો. શ્રીવિશ્વરૂપ ત્રિવિક્રમ ભગવાન આકાશમાં મારી રક્ષા કરો.

અસુરના અધિપતિઓના શત્રુ ભગવાન નૃસિંહ સંકટકારક વનવગડાઓમાં તથા સંગ્રામ વગેરેમાં મારી રક્ષા કરો કે જે નૃસિંહનાં ખડખડાટ હાસ્યના શબ્દથી દિશાઓ ગાજી ઉઠી હતી અને ગર્ભિણીઓના ગર્ભ પડી ગયા હતા.

પોતાની દાઢથી પાતાળમાંથી પૃથ્વીનો ઉદ્ધાર કરનારા ભગવાન યગ્નમૂર્તિ વરાહ માર્ગમાં મારી રક્ષા કરો; પરશુરામ પર્વતોના શિખરોમાં મારી રક્ષા કરો.; અને ભરતના મોટાભાઈ રામ તથા લક્ષ્મણ પ્રવાસમાં અમારી રક્ષા કરો.

અભિચારી વગેરે સર્વ ઉગ્ર ધર્મમાંથી તથા પ્રમાદમાંથી નારાયણ ભગવાન રક્ષા કરો. નર ભગવાન ગર્વથી રક્ષા કરો. યોગના સ્વામી દત્તાત્રય યોગભ્રંશથી મારી રક્ષા કરો. ગુણનાં સ્વામી કપિલદેવ કર્મના બંધનથી મારી રક્ષા કરો.

સનત્કુમાર કામદેવથી મારી રક્ષા કરો. હયગ્રીવ ભગવાન રસ્તામાંથી જતા દેવતાઓને પ્રણામ ન કરવા રૂપી અપરાધમાંથી મારી રક્ષા કરો. દેવર્ષિ શ્રેષ્ઠ મુનિ નારદ ભગવાનની પૂજામાં જે કોઈ વિઘ્ન નડે, તેનાથી મારી રક્ષા કરો અને કુર્મ અવતાર શ્રીહરિ સર્વ પ્રકારના નરકમાંથી મારી રક્ષા કરો.

ભગવાન ધન્વન્તરી કુપથ્યમાંથી મારી રક્ષા કરો. જીતેન્દ્રિય ભગવાન ઋષભદેવ કામ ક્રોધ આદિનાં ભયમાંથી મારી રક્ષા કરો. યગ્યાવતારી ભગવાન લોકાપવાદથી મારી રક્ષા કરો. બળભદ્ર મનુષ્ય તરફથી થનારા ઉપદ્રવોમાંથી રક્ષા કરો. અને શેષનાગ ક્રોધાવેશ નામના સર્પગણોથી મારી રક્ષા કરો.

ભગવાન વેદવ્યાસ અજ્ઞાનથી મારી રક્ષા કરો. ભગવાન બુદ્ધ પ્રમાદવાળા પાખંડીઓના ટોળામાંથી મારી રક્ષા કરો. ધર્મની રક્ષા કરવા માટે અવતાર લેનાર ભગવાન કલ્કી કાળનાં મળરૂપ કળીયુગથી મારી રક્ષા કરો.

કેશવ ભગવાન પ્રભાતમાં ગદાથી મારી રક્ષા કરો. વેણુધર ભગવાન ગોવિંદ આ સંકટકાળમાં મારી રક્ષા કરો. ઉદાત્તશક્તિ નારાયણ ભગવાન પ્રાહનકાળમાં મારી રક્ષા કરો. અને ચક્રધારી ભગવાન વિષ્ણુ મધ્યાન કાળમાં મારી રક્ષા કરો.

મધુ દૈત્યને મારનારા ઉગ્ર ધનુર્ધારી ભગવાન વિષ્ણુ ત્રીજા પહોરમાં મારી રક્ષા કરો. બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્ર એ ત્રણ મુર્તિવાળા ભગવાન માધવ સાયંકાળમાં મારી રક્ષા કરો. ઇન્દ્રિયોના સ્વામી હૃષીકેશ ભગવાન પ્રદોષકાળમાં મારી રક્ષા કરો. પદ્મનાભ ભગવાન કેવળ એક અર્ધરાતથી પહેલા કાળમાં અને અર્ધરાતે મારી રક્ષા કરો.

શ્રીવત્સનું જેને ચિહ્ન છે એવા ઈશ શ્રી વિષ્ણુ પાછલી રાતે મારી રક્ષા કરો. તલવારધારી ભગવાન જનાર્દન મળસકામાં મારી રક્ષા કરો. દામોદર ભગવાન સંપૂર્ણ સંધ્યાઓમાં મારી રક્ષા કરો. કાળમૂર્તિ ભગવાન વિશ્વેષર સૂર્યોદય પહેલાનાં કાળમાં મારી રક્ષા કરો.

હે પ્રલય સમયના અગ્નિ જેવી તીક્ષણ ધારવાળા ચક્ર ! ભગવાનથી મૂકવામાં આવે તો ચારે તરફ ફરીને અગ્નિ જેમ ખડની ગંજીને તુરત જ બાળી નાખે તેમ શત્રુના સૈન્યને તુરત બાળી નાખો.

હે વજ્રના જેવા તીક્ષ્ણ સ્પર્શવાળા તણખાઓથી ભરેલી ગદા ! તમે ભગવાનને વહાલી છો. તમે કુષ્માંડ, યક્ષ, રાક્ષસ, ભૂત તથા ગ્રહોને ભૂકો કરી નાખો તથા શત્રુઓના ચૂરેચૂરા કરી નાખો.

હે પાંચજન્ય શંખરાજ ! શ્રી કૃષ્ણ ભગવાને ફૂંકવાથી મહા ભયંકર શબ્દ કરીને તેમના શત્રુઓના હૃદયને કંપાવતા રાક્ષસો, પ્રમથો, પ્રેતગણ , માંતૃકાગણ, પિશાચ, બ્રહ્મ રાક્ષસ તથા બીજા ઘોર દૃષ્ટિવાળાઓને નસાડી મૂકો.

હે તીક્ષ્ણ ધારવાળી તલવાર! તમે ભગવાનના હસ્ત દ્વારા પ્રેરાઈને મારા શત્રુઓના સૈન્યને કાપી નાખો. હે ચંદ્રમાં જેવી સો ફૂદડીવાળી ઢાલ ! તમે શત્રુઓની આંખને ઢાંકી દો તથા પાપી નજરવાળાઓની પાપી દૃષ્ટિ હરિ લો.

અમને ગ્રહોથી, કેતુઓથી, મનુષ્યોથી, સર્પોથી, દાઢવાળા પ્રાણીઓથી તથા પાપોથી જે ભય થાય છે તે સૌ તથા જેઓ અમારા સુખમાં વિઘ્ન કરનારા છે તે સર્વે ભગવાનના નામરૂપી અસ્ત્રના કીર્તનથી તુરત જ ભય પામો.

બૃહદ્રથંતર વગેરે સામના સ્તોત્રોથી સ્તુતિ કરાતા વેદમય તથા સમર્થ ગરુડ ભગવાન સર્વ સંકટોમાં મારી રક્ષા કરો તથા વિશ્વ્ક્સેન ભગવાન પણ પોતાના નામો લેવા વડે સર્વ સંકટોમાંથી મારી રક્ષા કરો.

શ્રીહરિના નમ, રૂપ, વાહન અને આયુધો, સર્વ આપત્તિઓમાંથી અમારી રક્ષા કરો.ભગવાનના મુખ્ય પાર્ષદો અમારા બુદ્ધિ, ઇન્દ્રિય, મન તથા પ્રાણની રક્ષા કરો.

આ સાકાર નિરાકાર જે કઈ જગત છે સર્વ ભગવાનનું જ સ્વરૂપ છે, આ સત્યથી મારા સર્વ ઉપદ્રવો નાશ પામો.

અભેદ દૃષ્ટિવાળા મનુષ્યોને ભગવાન પોતે ભેદરહિત જોવામાં આવે છે તો પણ તે પોતાની માયાથી આભૂષણો, આયુધો તથા ચિહ્ન નામની શક્તિઓને ધારણ કરે છે. તે સત્ય પ્રમાણ વડે જ સર્વજ્ઞ તથા સર્વવ્યાપક ભગવાન શ્રીહરિ સર્વ પ્રકારના રૂપો વડે સર્વદા અમારી રક્ષા કરો.

નામની ગર્જનાથી લોકોના ભયનો નાશ કરનાર તથા પોતાના દિગ્ગજ, ઝેર, શસ્ત્ર, પાણી, વાયુ, અગ્નિ વગેરેના પ્રભાવે ગળી જનારા નરસિંહ ભગવાન દિશાઓમાં, ખૂણામાં ઊંચે નીચે, અંદર, બહાર તથા ચોતરફ અમારી રક્ષા કરો.



નારાયણ કવચનું ફળકથન:

વિશ્વરૂપ કહે છે હે ઇન્દ્ર ! આ નારાયણ કવચ તમારી આગળ કહ્યું જે ધારણ કરવાથી તમે શ્રમ વિના અસુરોના અધિપતિઓને જીતશો. આ નારાયણ કવચને ધારણ કરનારો મનુષ્ય નેત્રથી જેનાં તરફ જુએ અથવા તો પગ વડે જેને જેને અડકે તે તુરત જ ભયમાંથી છૂટે છે. આ કવચ ભણનાર પુરુષને કોઈ દિવસ રાજાઓ તરફથી, ચોર તરફથી, ગ્રહો થકી, વ્યાઘ્ર આદિ તરફથી તથા બીજા કોઈ તરફથી ભય રહેતો નથી.


-------ભાર્ગવ અધ્યારુ 


સંદર્ભ: શ્રીમદ ભાગવતપીયુષ , શ્રી કૃષ્ણનિધિ, સોલા, અમદાવાદ.


11 ટિપ્પણીઓ:

  1. તમે મેહનત થી આ સરળ ભાષા માં ઇન્ટરનેટ પર વહેતું કર્યું એ માટે ખૂબ ખૂબ આભાર.

    જવાબ આપોકાઢી નાખો
  2. વાહ ! ખૂબ સરલ ભાષા મા નારાયણ કવચ આપ્યું આભાર !

    જવાબ આપોકાઢી નાખો
  3. ખુબ સરળતાથી સમજી શકાય તે માટે ઈન્ટરનેટ પણ પૂરું પાડવા બદલ આભાર.🙏

    જવાબ આપોકાઢી નાખો
  4. ખૂબ ખૂબ આભાર,
    ગુજરાતી માં ભાષા માં આપ્યું તે બદલ🙏

    જવાબ આપોકાઢી નાખો
  5. આપ નો ખુબ ખુબ આભાર

    જવાબ આપોકાઢી નાખો
  6. ખૂબ સરસ અને સરળ ભાષાંતર છે ખૂબ ખૂબ આભાર

    જવાબ આપોકાઢી નાખો