મંગળવાર, ફેબ્રુઆરી 21, 2012

માતૃભાષાનો મહિમા

"માતૃભૂમિ, સંસ્કૃતિ અને માતૃભાષા આદરણીય છે કારણકે તે પરમ આનંદ આપનારી છે."
                                                                                                                                     ઋગવેદ.

માતૃભાષા વ્યક્તિની અંગત, સામાજિક અને સંસ્કૃતિક ઓળખ છે. માણસ  સ્વપ્ન પણ પોતાની માતૃભાષામાં જુએ છે. વ્યક્તિ સ્વનું  પ્રતિબિંબ પણ માતૃભાષામાં જ જુએ છે. બાળકને  માતૃભાષા શીખવાનો પ્રયાસ કરવો નથી પડતો પણ સાંભળતા સાંભળતા સહજ રીતે જ શીખી જાય છે. માતૃભાષા એવું અનિવાર્ય ઉપકરણ છે કે જેના માધ્યમથી  વ્યક્તિનો માનસિક, બૌદ્ધિક અને નૈતિક વિકાસ થાય છે. માતૃભાષા દ્વારા વિવિધ વિષયોનું  જ્ઞાન વ્યક્તિને  આસીનીથી પ્રાપ્ત થાય છે. વિચારોની પારદર્શકતા અને  વિચારોનું પ્રસરણ માતૃભાષાના પ્રભુત્ત્વ વિના શક્ય નથી. માતૃભાષાની નબળાઈ માણસને વૈચારિક રીતે પંગુ બનાવી દે છે.  INVENTIONS  અને DISCOVERIES  એ જે તે વિષયની ગહન સમજણથી ઉદભવે છે. અને જે તે વિષયની ગહન  સમજણ માતૃભાષા જ આપી શકે છે. માતૃભાષા માણસ ખૂબ જ સરળતાથી અસ્ખલિત પણે બોલી શકે છે. અરે! પ્રેમ અને ગુસ્સો પણ માણસ પોતાની ભાષામાં જ શ્રેષ્ઠ રીતે વ્યક્ત કરી શકે છે.  માણસ જે ભાષામાં SPONTANEOUSLY  ગાળ બોલે તે તેની માતૃભાષા.

જર્મનો  પોતાના દેશને FATHERLAND  કહે છે પણ ભાષાને તો માતૃભાષા જ કહે છે.કારણકે  માતા  પાસેથી જ  બાળક ગર્ભમાં હોય ત્યારથી બોલતા શીખે છે. માતા જ  હમેશા બોલતી હોય છે, પિતા તો માત્ર એક સારા શ્રોતા તરીકે સાંભળ્યા જ કરે છે.

માતૃભાષા એ આપણો ખજાનો છે જે પેઢી દર પેઢી વિરાસતમાં આપવાનો છે. આપણા ઘડતરમાં  તેનો  સિંહ ફાળો છે. આપણા વિચારો, લાગણીઓ અને  વ્યક્તિત્વ વિકાસમાં માતૃભાષા ખૂબ જ ભાગ ભજવે છે.  અન્ય ભાષાઓ શીખવા માટેનું સબળ અને પ્રબળ માધ્યમ છે. સ્વામી શ્રી વિવેકાનંદ અને પૂજ્ય શ્રી મોટા એક જ  સરખો  આગ્રહ રાખે છે, " પ્રાથમિક શિક્ષણ તો  બાળકને તેની માતૃભાષામાં  જ આપવું જોઈએ."  મજબૂત પાયા પર જ કારકિર્દીની ગગનચૂંબી ઈમારત ચણી શકાય. રશિયા, ચીન, જાપાન, ઇટલી, ફ્રાંસ વિગેરે દેશોતો  ખરા  જ પણ  બૂંદ બરાબર દેશ ICELAND કે જેની વસ્તી માંડ ચાર લાખ હશે તે પણ ICELANDIC  ભાષામાં જ  શિક્ષણ આપે છે. આપણે ત્યાં બોર્ડના TOPPERS  ઘણા ભાગે ગુજરાતી માધ્યમવાળા  જ  હોય છે.

અહી આપણે અંગ્રેજી ભાષાને વખોડી નથી રહ્યા કે નથી કરી રહ્યા તેનો વિરોધ. આજે GLOBALIZATION નો યુગ છે. ઉચ્ચ ભણતર કાજે, સારી નોકરી માટે અને ગમતી કે  નાગમતી  પણ ગ્રીન કાર્ડ વળી છોકરી માટે ભારત છોડીને બીજા દેશમાં SETTLE  થવું પડે છે. આ સંજોગોમાં  બીજી ભાષા તરીકે અંગ્રેજી  સર્વમાન્ય  અને  જગવ્યાપક છે.  ગુજરાતી માધ્યમની  શાળાઓમાં અંગ્રેજીનું THOROUGH  KNOWLWDGE  આપવું જોઈએ. અને વિદ્યાર્થીઓને એવા સક્ષમ બનાવવા જોઈએ કે આગળના ભણતરમાં કે જીવન ઘડતરમાં બીજા વિદ્યાર્થીઓ જેટલી જ અને જેવી જ  સરળતા અને સુગમતા રહે. હરીફાઈમાં કાઠું કાઢી  દરેક ક્ષેત્રમાં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરે.

આપને ત્યાં કોર્ટ, કચેરી, બેંક  અને અન્ય CORPORATE  FIELD માં અંગ્રજીમાં વહીવટ ખૂબ સરસ રીતે ચાલે છે. એમાં ચોખલિયા વેડા કરવાની જરૂર નથી. જો દરેક સ્થાને હિન્દી કે  પ્રાદેશિક ભાષાનો  દુરાગ્રહ  રાખીએતો  આપણે શબ્દકોશનો  ભાર  લઈને જ ફરવું પડે, છતાં સાચો પર્યાય ના મળે અને આખું કોળું શાકમાં જાય. અંગ્રેજી માટે ના તો ઘેલછા હોવી જોઈએ ના તો છોછ.

હિન્દી ફિલ્મોનો ISI  MARK  ધરાવતો સંવાદ છે " गोरी चमड़ीवाले  अंग्रेज चले गए मगर उनकी नाजईज़ औलादको  यंहा छोडके गए!"  આ સંવાદ આજના હિન્દુસ્તાન કે જ્યાં મોટે ભાગે" હિંગ્લીશ" ભાષા નું ચલન વિશેષ છે , તેને બંધ બેસે છે.

આપણી માતૃભાષા ની ઘોર ખોદનાર છે કેટલાક  કચરાલાલ, બોઘાલાલ, ગાંડાલાલ, જુઠાલાલ, લાલચદાસ , જેઓએ ધનપ્રાપ્તિ અને માત્ર ધનપ્રાપ્તિ અર્થે જ કોન્વેન્ટ સ્કૂલો રૂપી વિશાળ દુકાનો ખોલી નાખી છે. મા-બાપ  ચેતો !

" માતા, માતૃભૂમિ અને માતૃભાષા વિના માણસ અનાથ ગણાય."  આપણામાંના  ઘણા બધા મા અને માતૃભૂમિને  ખોઈ ચુક્યા હશે. હવે શું માતૃભાષાનો  જનાજો કાઢીને બિલકૂલ જ અનાથ થવું આપણને ગમશે અને પોષાશે?



                                                                                                              ભાર્ગવ અધ્યારુ 



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો