રવિવાર, એપ્રિલ 29, 2012

દંડનું સ્વરૂપ

શ્રી ભીષ્મ પિતામહે "શ્રી વિષ્ણુ સહસ્ત્રનામ"માં 'દંડ' નામ પણ ભગવાન શ્રી વિષ્ણુ માટે પ્રયોજ્યું છે.
શ્રીમદ ભગવત ગીતાના ૧૧ માં અધ્યાયમાં વિશ્વરૂપનું જે વર્ણન કર્યું છે તેમાં દંડનું એક રૂપ પણ સામેલ છે.
                 धनुर्धरो धनुर्वेदो दण्डो दमयिता दम:

दंड :   ----પાપીનું દમન કરનારા 

दमनात  दंड नात चैव तस्मात् दण्डं विदु; बुध: 

દુર્વ્રુતિઓનુ તે દમન કરે છે, દંડ આપે છે  તેથી જ્ઞાનીજનો આવી શક્તિને દંડ કહે છે.


દંડનું સ્વરૂપ કેવું છે તે જોઈએ.


(૧) તેનું સ્વરૂપ જાજ્વલ્યમાન અગ્નિના જેવું પ્રદીપ્ત છે. બળબળતો અગ્નિ જેમ  બીજાને તપાવે છે, તેમ દંડ પણ અપરાધી જનોને તપાવે છે; જેથી તેનું સ્વરૂપ અગ્નિના જેવું ક્રૂર વર્ણવ્યું છે.


(૨) તેનો વર્ણ નીલકમળની પાંખડીના જેવો શ્યામ છે. જે અપરાધીને શિક્ષા કરવામાં આવી હોય છે, તેનો વર્ણ લગભગ શ્યામ જ બની જાય છે. આવા આશયથી દંડનો વર્ણ શ્યામ હોવો જોઈએ એમ સિદ્ધ થાય છે.


(૩) તેને ચાર દાઢો છે. કેટલાક ગુનેગારોને કેવળ અપમાન કરીને જ શિક્ષા કરવામ આવે છે, કેટલાકના  ધનનું હરણ હરણ કરીને દંડવામાં આવે છે, કેટલાકના નાક, કાન વગેરે અવયવો કાપી લઈને દંડવામાં આવે છે અને કેટલાકને દેહાંતદંડની શિક્ષા કરવામાં આવે છે; માટે આ ચારે શિક્ષા કરવાના પ્રકારોને દંડની ચાર દાઢો તરીકે વર્ણવ્યા છે.


(૪) તેને ચાર ભુજાઓ છે. પ્રજા અને ધનવાનો પાસેથી કર લેવામ આવે છે, કોઈના પર ખોટો દાવો માંડનાર પુરુષ પાસેથી તેણે દાવો કરેલ ધન કરતા બમણું ધન લેવામાં આવે છે, અસત્ય બોલનાર પ્રતિવાદી પાસેથી સમાન ધન લેવામાં આવે છે, અને લોભી બ્રાહ્મણ પાસેથી તેનું સર્વસ્વ લઇ લેવામાં આવે છે; આ ચાર આદાન પ્રકારોને દંડના ચાર બાહુઓ તરીકે વર્ણવ્યા છે.


(૫) તેને આઠ પગ છે. ફરિયાદ, વાદી- પ્રતિવાદીના લખાણ, અપરાધની કબૂલાત, અસત્ય ઉત્તર, કારણોત્તર( મેં અમુક વસ્તુ લીધી હતી પણ પછી આપી દીધી હતી), પાર્ન્યોત્તર ( મેં તેની સામે પહેલા ફરિયાદ માંડી હતી અને તેમાં તે હાર્યો હતો), સાક્ષી, ક્રિયા ( પોતાનો મત સિદ્ધ કરવા માટે સોગંદ ખાવા) અને ફળસિદ્ધ એટલેકે આખરે સાચા ખોટનો નિર્ણય કરી ફેંસલો આપવો; આ આઠ નિમિત્તો દ્વાર દંડ ચાલી શકે છે, માટે તેણે આઠ પગ છે.


(૬)  તેને અનેક નેત્રો છે. રાજા, પ્રધાન, પુરોહિત અને ધર્મસભા એ બધા મળીને સર્વ પ્રકારના કર્યો તપાસે છે, માટે તેને અનેક નેત્રો છે.


(૭) દંડના કાન શંકુ જેવા તીક્ષણ છે, જેથી તે અવશ્ય સર્વનું સાંભળે છે.


(૮) દંડ જટાધારી એટલેકે જટિલ છે, તેને બે જીહ્વા છે, તેનું રૂપ લાલ વર્ણનું છે અને તેણે શરીર પર મૃગચર્મ ધારણ કરેલું છે.


આ રીતે નિત્ય દુર્ધર એવો દંડ દેવ મહાઉગ્ર  સ્વરૂપ વાળો છે અને અનેક આયુધધારી  છે.


રાજાએ પ્રિય-અપ્રિય મનુષ્ય પર સમાન ભાવ રાખી અને યથાયોગ્ય  દંડનો ઉપયોગ કરવો જોઈએ. તો  પ્રજાનું સારી રીતે રક્ષણ થાય છે અને  ધર્મ, આર્થ અને કામની સતત પ્રવૃત્તિ ચાલુ રહે છે. જો આ જગતમાં દંડ ના હોય તો મનુષ્યો એકબીજાનો સંહાર કરી નાખે. દંડના રક્ષણ તળે રહેલી પ્રજા રાજ્યનો અભ્યુદય કરે છે, માટે દંડ જ સર્વનો આધારભૂત છે.
જે રાજા સ્વધાર્માંનુંસર વર્તીને રાજ્યતંત્ર ચલાવે છે, તેણે માતા, પિતા, ભાઈ, સ્ત્રી અને પુરોહિત --એમાંનો કોઈ પણ જો અપરાધ કરે તો તેને પણ અવશ્ય શિક્ષા કરવી.


જો કે આજે નિર્દોષ દંડાઈ રહ્યા છે અને બદમાસો બાદશાહ બની દંડ દેવા બેઠા છે.


" सौमें से ९९ बेईमान फिर भी मेरा भारत महान!"





                                                                ભાર્ગવ અધ્યારુ 


                                                                                          +91-9825038089



મંગળવાર, એપ્રિલ 24, 2012

સુખની આખી અનુક્રમણિકા.......

સુખની આખી અનુક્રમણિકા 
અંદર દુઃખના પ્રકરણ,
તમે જીંદગી વાંચી છે?
વાંચો તો પડશે સમજણ.

પૂંઠા વચ્ચે પાના બાંધ્યા, જેમ ડચૂરા બાઝે,
આંસુના ચશ્માં પહેરીને પાને પાના વાંચે.

પથ્થરના વરસાદ વચાળે 
કેમ બચાવો દર્પણ?

હશે કોઈ પ્રકરણ એવું કે ખરે વાંચવા લાયક,
તમે ફેરવો પાનાં ને એ પુસ્તકમાંથી ગાયબ.

ફાટેલા પાનાઓ જેવા,
ફાટી જાતાં સગપણ.

આ લેખક પણ કેવો એને દાદ આપવી પડશે,
લખે કિતાબો લાખો પણ ના નામ છપાવે કશે.

હશે કદાચિત લેખકજીને 
પીડા નામે વળગણ .....

                                                                                                     
                                                                                                       મૂકેશ જોશી.


જિંદગીની વરવી વાસ્તવિકતા કવિએ વ્યક્ત કરી છે. સાંપ્રત સમયના માણસની લગભગ આવી જ   દશા છે.  જિંદગીનું પુસ્તક આમતો hard bound  દેખાય છે. સુંદર modern art ધરાવતું title page છે.
બીજા પૃષ્ઠ પર જે અનુક્રમણિકા દર્શાવી છે તે જોતા તો એમજ લાગે કે એકે એક પ્રકરણ કેટલું આનંદપ્રદ હશે. પણ વાત એવી કે ફિલ્મનું નામ "આનંદ" પણ ફિલ્મ હૃદયદ્રાવક.
આજે બધા એક બીજાને સુખનું સરનામું પૂછ્યા કરે છે. મતલબ સાફ છે--દરેક વ્યક્તિ  પોતે સુખી છે એવી ભ્રમણામાં જ જીવી રહ્યો છે અને આ હકીકતથી તે અજાણ પણ નથી. માણસ પોતાની positive attitude થી પ્રસન્નતાની અલપ ઝલપ અનુભવતો રહે એ વાત અલગ છે. ખરેખર તો જીવનનું સુખરૂપી ગુલાબ કંટકોથી ઘેરાયેલું છે. હવે તો સ્વપ્નમાં પણ સુખ દુર્લભ બની ગયું છે. horror show  જોઇને સૂતા બાદ સ્વપ્નમાંય  ક્યાંથી સુખની ઝાંખી સરખીય થાય?
આજે અભાવ, અલ્પતા અને અપૂર્ણતાની બોલબાલા છે ત્યારે માણસ સ્વસ્થ, મસ્ત અને પ્રસન્ન ક્યાંથી રહી શકે?
કવિએ ખૂબ જ સરળ અને સરસ રીતે તરતજ સમજાય અને હજમ થાય એવી શૈલીમાં કાવ્ય લખ્યું છે માટે ઝાઝી પીંજણ કરવાની અને વાગોળવાની જરૂર નથી.


ભાર્ગવ અધ્યારુ 
+91-9825038089




શનિવાર, એપ્રિલ 14, 2012

RUCHA: સુવર્ણ વાક્યો

RUCHA: સુવર્ણ વાક્યો: ભૂલો કઈ રીતે થઈ તે સમજવામાં જેટલો સમય વેડફાય છે તેના કરતાં ઓછા સમયમાં એ ભૂલ સુધારી શકાય છે ભૂખ લાગે ત્યારે ખાવું તે પ્રકૃતિ; ભૂખ ન લાગ...

શુક્રવાર, એપ્રિલ 13, 2012

સુવર્ણ વાક્યો





ભૂલો કઈ રીતે થઈ તે સમજવામાં જેટલો સમય વેડફાય છે તેના કરતાં ઓછા સમયમાં એ ભૂલ સુધારી શકાય છે


ભૂખ લાગે ત્યારે ખાવું તે પ્રકૃતિ; ભૂખ ન લાગી હોય તોય ખાવું તે વિકૃતિ અને ભૂખ્યા રહીને બીજાને ખવરાવવું તે સંસ્કૃતિ...


માનવીના જ્ઞાનને માપવા માટે તેની નમ્રતા અને બધાને પ્રેમ કરવાની તેની તાકાતને તપાસવી પડે છે. - ગાંધીજી


કોઈ અક્ષર એવો નથી જેમાં મંત્ર ન હોય. કોઈ મૂળ એવું નથી, જેમાં ઔષધ ન હોય. કોઈ વ્યક્તિ એવી નથી જે અયોગ્ય હોય. માત્ર એને પારખીને એનો ઉપયોગ કરનાર દુર્લભ છે.


" જીવન માં જેટલી કિંમતી વસ્તુ પ્રાપ્ત કરશો ,એટલુંજ કિંમતી એનૂં ઋણ ચુકવવું પડશે "


પથ્થર જેવો ક્રોધ કોકનું માથું ફોડી નાખે છે એ વાત સાચી, પણ પાણી જેવી ક્ષમા લાંબે ગાળે પથ્થર જેવા ક્રોધને જ તોડી નાખે છે એ વાસ્તવિકતા કયારેય ભૂલશો નહિ


આપણી આવક એ આપણા પગરખાં જેવી છે : જો ટૂંકી હોય તો ડંખે; પણ વધુ મોટી હોય, તો ગડથોલિયું જ ખવડાવે


આપણે એવું નહીં વિચારવું કે ભગવાન અમારા શુભ ફળ તરત કેમ નથી આપતા, બલકે ભગવાનનો આભાર માનો કે આપણને ભૂલની સજા તરત નથી આપતા


સાદગી ઉત્તમ સુંદરતા છે. ક્ષમા ઉત્તમ બળ છે. નમ્રતા ઉત્તમ તર્ક છે. મિત્રતા ઉત્તમ સંબંધ છે. તેને ધારણ કરીને જીવનને ઉત્તમ બનાઓ.


પૈસો આવે છે ત્યારે ખર્ચના લશ્કરને લઇને આવે છે, એ જ પૈસો જયારે જાય છે ત્યારે એકલો જ જતો રહે છે પરંતુ... પેલું ખર્ચનું લશ્કર મૂકતો જાય છે


‎"ખાઈ" માં પડેલો માનવી બચી ને ઉપર આવી શકે છે,પરંતુ "અદેખાઈ" માં પડેલો માનવી ક્યારેય ઉપર આવી શકતો નથી ..........


તમે નિષ્ફળ થાવનો પ્રયત્ન કરો અને સફળ થઇ જાઓ તો તમે સફળ થયા કહેવાય કે નિષ્ફળ થયા કહેવાય ?????


દરિયો સમજે છે કે મારી પાસે પાણી અપાર છે, પણ એ ક્યાં જાણે છે કે, આ તો નદીએ આપેલો પ્રેમ ઉધાર છે....


જીંદગીમાં એવું કશુજ મુશ્કેલ નથી હોતું જે આપણે વિચારવાની હિંમત ના કરી શકીએ, હકીકતમાં આપણે કશુંક જુદુંજ કરવાનું વિચારવા ની હિંમત નથી કરી શકતા.


‎'ફૂલ ને ખીલવા દો, મધમાખી પોતાની જાતે જ તેની પાસે આવશે; ચારિત્ર્યશીલ બનો , વિશ્વાસ જાતે જ તમારા પર મુગ્ધ થઇ જશે.'


પ્રસાદ એટલે શું ?
પ્ર -એટલે પ્રભુ
સા -એટલે સાક્ષાત
દ -એટલે દર્શન
માટે જે આરોગવાથી પ્રભુના સાક્ષાત દર્શન થાય તે સાચો પ્રસાદ અને પ્રસાદ આરોગતી વેળાએ હૃદયમાં પ્રભુના મુખારવિંદની ઝાંખી થાય તે મહાપ્રસાદ


‎"ઈશ્વર માનવી ને લાયકાત કરતા વધારે સુખ આપતો નથી...તો સહનશક્તિ કરતા વધારે દુઃખ પણ નથી આપતો..........


પૈસા માટે તો બધા પરસેવો પડે છે !!! પર-સેવા માટે પરસેવો ના પડાય ??


કશું ના હોય ત્યારે "અભાવ" નડે છે, થોડું જ હોય ત્યારે "ભાવ" નડે છે,જીવન નું આ એક કડવું સત્ય છે, બધું જ હોય ને ત્યારે "સ્વભાવ" નડે છે..


કોઈ દિવસ કુંભાર પણ મન માં વિચારતો હશે..કે "ટકોરા" મારી ને મારા માટલા ને ચકાસતો આ માનવી આટલી જલ્દી કેમ તૂટી જાય છે ??


કોણ કહે છે કે ભગવાન નથી દેખાતા?? ખાલી એ જ તો દેખાય છે જ્યારે કંઇ નથી દેખાતું..!!


તારું કશું ન હોય તો છોડીને આવ તું,તારું જ બધું હોય તો છોડી બતાવ તું.........


અવગણના વચ્ચે જીવતું બાળક..અપરાધ શીખશે.
દુશ્મનાવટ વચ્ચે જીવતું બાળક લડાઇ શીખશે. 
ઉપહાસ વચ્ચે જીવતું બાળક..શરમ શીખશે.
સહનશીલતા વચ્ચે જીવતું બાળક..ધૈર્ય શીખશે.
પ્રોત્સાહન વચ્ચે જીવતું બાળક વિશ્વાસ શીખશે
મૈત્રી અને આવકાર વચ્ચે જીવતું બાળક…જગતમાં પ્રેમ આપતા અને મેળવતા શીખશે..


સુધારીલેવા જેવી છે પોતાની ભૂલ ,ભૂલી જવા જેવી છે બીજા ની ભૂલ .....આટલું માનવીકરે કબુલ..., તો હર રોજ દિલ માં ઉગે સુખ ના ફુલ ...


કોણ કહે છે "સંગ એવો રંગ"માણસ "શિયાળ" સાથે નથી રેહતો તોયે "લૂચ્ચો" છે,માણસ "વાઘ" સાથે નથી રેહતો તોયે "ક્રૂર" છેઅને માણસ "કુતરા" સાથે રહે છે તોયે "વફાદાર" નથી.....


‎"માણસને પ્રેમ કરો વસ્તુને નહી,વસ્તુને વાપરો માણસને નહી"........




આભાર:ગુરુભાઈ                                                                                                        ભાર્ગવ અધ્યારુ 

ગુરુવાર, એપ્રિલ 12, 2012

દિલ અને દિમાગનો દ્વન્દ્વ્ :



દિલ અને દિમાગ માણસનાં જીવનના મેદાનના બે ગોલપોસ્ટ છે જેની વચ્ચે માણસ જીવનપર્યંત અથડાતો રહે છે, અફળાતો રહે છે અને પરિણામે અકળાતો રહે છે. દિલનું માનવું કે દિમાગનું એ પ્રશ્ન એને સતત સતાવતો રહે છે અને કોયડારૂપ દ્વિધામાં જીવ્યા કરે છે.

દિલમાંથી પ્રેમ અને કરુણાનું શીતલ ઝરણું અવિરત પણે વહ્યા કરે છે, જયારે દિમાગ કામ, ક્રોધ, લોભ અને મોહની અગન જ્વાળાઓ ઓક્યા કરે છે.

દિલ “ ચલ છૈયા છૈયા “ ગાઈને ઝૂમી શકે છે, નાચી શકે છે, થનગની શકે છે જયારે દિમાગ ને  અહં આડો આવે છે.

દિલ માલિક છે અને દિમાગ ચાકર છે. આ હક્કીકત સમજીને જીવનાર તરી જાય છે. જો દિમાગને માલિક બનાવશો અને દિલને નોકર તો તમારી જીંદગી બેશક તહસ નહસ થઇ જશે.

દિમાગ એક જૈવિક કોમ્પુટર છે. જે માહિતી અને જ્ઞાનને સંગ્રહી રાખે છે અને જરૂર પડ્યે તેનો ઉપયોગ કરી જાણે છે. માનો કે તે એક યંત્ર છે, એક રોબોટ છે જે માણસ કરતા પણ વધુ કુશળતાથી કાર્યો કરી શકે છે. તેની જરૂરત ગણિતમાં, ધંધા-વેપારમાં અને રોજબરોજની જિંદગીમાં આવશ્યક છે. પણ આપણે એમ માની લઈએકે આ જ જીન્દગી છે તો તે નરી મૂર્ખતા છે. દિલ કહે તે રીતે જીવવામાં જ ડહાપણ છે કારણકે દિલ કેવળ વિધેયાત્મક વાત જ કરે છે. દિલ પાસે શંકા-કુશંકા કઈ કરતા કઈ નથી જયારે દિમાગ તો આ ચીજોથી ખચોખચ ભરેલું છે. દિમાગ પાસે પ્રશ્નોનો ભંડાર છે જયારે દિલ પાસે કેવળ સમસ્યાઓનું સમાધાન જ છે.

દિલની ફળદ્રૂપ ધરતી પર જ પ્રાર્થના, કવિતા અને પ્રેમનાં છોડવા સફળ અને સપુષ્પ ખીલી ઊઠે છે.

દિલ આપણા જીવનનું કેન્દ્રબિંદુ છે જયારે દિમાગ પરિધિ છે. પરિધિ પર મૂર્ખ લોકો જ જીવે છે.જીવનનો ખજાનો ખરેખર કેન્દ્રમાં જ છે. વિજ્ઞાનની પરિભાષા અનુસાર કેન્દ્ર જ શક્તિશાળી હોય છે અને ઇલેક્ટ્રોનસ જુદી જુદી ભ્રમણ કક્ષામાં તેની આજુબાજુ ફરતા હોય છે. દિલ માત્ર મૌનની ભાષા જાણે છે અને દિમાગને મૌનની મહત્તાનું જ્ઞાન નથી. એનો તો તર્ક વિતર્ક નો ઘોંઘાટ જ પસંદ છે. દિલ અને દિમાગ એ બે વિરુદ્ધ ધુવો છે.

દિમાગ એટલેકે બુદ્ધિ ઉચ્ચ જીવન સ્તર આપી શકે છે પણ તેમાં જીવન નથી હોતું. દિલ એટલેકે હૃદય વડે જીવાતું જીવન એજ સાચા અર્થમાં જીવન છે. માટે હૃદયથી જીવો ને જયારે જયારે જરૂર પડે ત્યારે બુદ્ધિનો ઉપયોગ કરો.

“હૃદયને જીવ ભરીને જીવવા દો, બુદ્ધિને કહો બહુ બોલે નહિ:

સોનાની મૂર્તિને લોખંડના ત્રાજવામાં, મૂકી કદી કોઈ તોલે નહિ.”


                                                                                                               
 ભાર્ગવ અધ્યારૂ

શુક્રવાર, એપ્રિલ 06, 2012

RUCHA: છતાં માનું; માનવીનું ભાવિ રૂપાળું

RUCHA: છતાં માનું; માનવીનું ભાવિ રૂપાળું: છતાં માનું; માનવીનું ભાવિ રૂપાળું  છે લાંબા પ્રવાસો ને ટૂંકી છે દ્રષ્ટિ ને કમજોરીઓથી , ભરી આખી સૃષ્ટિ! અમૃતનું ટીપું મળે  ના મળે,...

છતાં માનું; માનવીનું ભાવિ રૂપાળું





છતાં માનું; માનવીનું ભાવિ રૂપાળું 

છે લાંબા પ્રવાસો ને ટૂંકી છે દ્રષ્ટિ
ને કમજોરીઓથી , ભરી આખી સૃષ્ટિ!
અમૃતનું ટીપું મળે  ના મળે, પણ 
થતી રે'તી વણમાગી વિષ કેરી વૃષ્ટિ
નિરાશાના કારણ હજારો હું ભાળું-
છતા માનું; માનવીનું ભાવિ રૂપાળું.


કબૂલ! કંટકોથી ભરેલી ધરણ છે,
ને ચીરાતા ડગલે ને પગલે ચરણ છે.
જુવો જ્યાં જ્યાં ત્યાં કોઈ ને કોઈ રૂપે
ઊભું ગ્રાસ કરવા ભયાનક મરણ છે.
દશે દિશા ભભૂકે અગન કેરી નાળું-
છતાં માનું; માનવીનું ભાવિ રૂપાળું.


ઊગે છે દિવસ તેવા બેચાર નીકળે,
સજીને શહાદતના શણગાર નીકળે.
બલિદાનની, સામે ચાલીને બનવા 
ધધકતી અરૂણ લોહીની ધાર નીકળે,
ભલે ભાસતી પાપની ધીંગી પાળું,
છતાં માનું; માનવીનું  ભાવિ રૂપાળું.


ભરી જેટલી આ જગતમાં અગન છે,
વધુ તેથી માનવાના ઉરમાં લગન છે.
જગત રીઝ્તું છો રિબાવીને એને,
અરે, એ તો મહોબતના માર્ગે મગન છે.
ભલે ડારતી ભેરવી મુંડ-માળું,
છતાં માનું; માનવીનું ભાવિ રૂપાળું.


એ રિબાય છે, એ સડે છે, રડે છે,
હઝારો વખત, ચાલતાં એ પડે છે.
એ તરસે છે, નાસે છે, શ્વાસ ભર્યો પણ 
ગમે તેમ તો ય હરદમ લડે છે.
પળે પળ ભરખતી ભલે એને ઝાળું-
છતાં માનું; માનવીનું ભાવિ  રૂપાળું.




                                                                   કરસનદાસ  માણેક 



                                                કવિ શ્રી કરસનદાસ માણેકની આ એક ઉત્કૃષ્ટ રચના છે. વિકટમાં વિકટ પરિસ્થિતિનો ફક્ત  સામનો કરીને જ નહિ પણ તેની સામે જંગ છેડીને, લડીને વિજયી થવાની વાત છે. સાવ જ રસ્તે અફળાતા કે ઉકરડામાં પડેલા પત્થરને પણ એક કાબેલ શિલ્પી ભગવાનની મૂર્તિમાં ફેરવી શકે છે. પાષાણનું, પરમાત્મામની પ્રતિમામાં પરિવર્તન થઇ જાય છે. રોજ દરેક પ્રહરની પૂજા, આરતી અને પુષ્પોના શણગારથી ઉકરડાનો પથ્થર પણ ધન્ય બની જાય છે. અમદાવાદની ઉનાળા અને ભરઉનાળાની ઋતુમાં દૂધનું ફાટી જવું એક ખૂબ જ સામાન્ય અને નિયમિત ઘટના છે. (જો કે ફ્રીઝ આવ્યા પછી આ દુર્ઘટના ઓછી થઇ ગઈ છે.) આ ફાટેલા દૂધનું ગૃહિણીઓ અનેક સ્વાદિષ્ટ વાનગીઓમાં રૂપાંતર કરવામાં કાબેલ છે અને ફાટેલા દુધને પણ એક નવી પહેચાન મળે છે. અમાવાસ્યાની ઘોર અંધારી રાત્રિ બાદ નવા માસનું પહોર પ્રગટે છે. શારજાહના રણ પ્રદેશની ભવ્યતા આરબોએ લીલાછમ ક્રિકેટના મેદાનો બનાવીને દુનિયાને દેખાડી દીધી છે.  અરે! હાલનું કચ્છ તો જુઓ. એક નવોઢા જ જોઈ લ્યો! કચ્છના રણોત્સવે  વિશ્વને રેતની સુંદરતાનું મહાતમ્ય કેવું અને કેટલું હોઈ શકે તેનું ભાન કરાવ્યું છે. જો આ તમામ જડ ચીજોનું  ભાવિ, માનવી રૂપાળું કરી શકતો હોય તો જે સ્વયમ ચેતનાસભર છે તે માનવી પોતાનું ભાવિ કેમ રૂપાળું ના કરી શકે? નિ:શંક કરી શકે. ફક્ત પ્રમાદથી સાવધાન રહી, હરપળ જાગૃત રહી જીવન જીવવાનું છે, જંગ લડવાનો છે. રૂપાળા ભાવિનો માર્ગ સ્વયમ પ્રશસ્ત થઇ જશે.

                                                                                                       ભાર્ગવ અધ્યારુ 
                                                                                                      +91-9825038089

ગુરુવાર, એપ્રિલ 05, 2012

RUCHA: જીવતરની જફા

RUCHA: જીવતરની જફા: :ઉત્તરાયણ : થોડુંય સમજ્યા હોત તો સુખેથી જીવતે, પણ રહ્યા ખખડતા આપણે, બસ વાતે વાતે! દોષના ટોપલાનું તો વજન વળી કેટલું? ઊંચકીને ...

જીવતરની જફા

:ઉત્તરાયણ :


થોડુંય સમજ્યા હોત તો સુખેથી જીવતે,
પણ રહ્યા ખખડતા આપણે, બસ વાતે વાતે!

દોષના ટોપલાનું તો વજન વળી કેટલું?
ઊંચકીને નાખતા રહ્યા, એક-મેક ના માથે!

નાની અમથી વાતમાં, રણશિંગા ફૂકતા,
સવાર પડે ને હસતા મોઢા, રોજ બગડતા રાતે!

બંધ કર્યાં છે બારણા, ક્યાં કોઈ જુએ છે?
લોક માને કેવાં, સૂએ છે નિરાંતે!

ન'તી દેખાતી ભૂલો, તે બહુ મોટી દેખાય છે,
આંખે બાઝ્યાં છે ઘુવડ, તે ઉડે વાતે વાતે!

એક-મેકનો પતંગ કાપવામાં  પડ્યા ઘસરકા હાથે,
બળી આ ઉત્તરાયણ! ના આવે તો, જીવાતે નિરાંતે!

                                                           અજ્ઞાત 


:ડુંગરા:

ખૂબ જ અણિયાળા છે દુખના આ ડુંગરા,
મારા ફાળે આવ્યા છે, ખૂંદવાના ડુંગરા!

મને પ્રેમથી પાસે  બોલાવે આ ડુંગરા,
ન જાઉં તો દોડતા આવે આ ડુંગરા !

થાક લાગે કે વાગે , ઊંઘવા દેતા ના ડુંગરા,
કાન માં કાંક કાંક કે'તા આ ડુંગરા!

છે ખૂબ જ રમતિયાળ આ રાતામાતા ડુંગરા,
મારી જોડે રમે તો જ ધરાતા આ ડુંગરા!

છોડી ગામના મોટા યજમાન આ ડુંગરા,
કેમ મારા પર મહેરબાન છે આ ડુંગરા!

થાય છે શ્વાસ છોડીશ ત્યારે છૂટશે આ ડુંગરા,
કે ઉપર પણ અણી અડાડશે આ ડુંગરા......

                                              અજ્ઞાત 


આજના  યુગના માણસની વાસ્તવિકતા છે. 
બંને કાવ્યો self explicit  છે. કોઈ વિશેષ ટીકા ટિપ્પણીની  જરૂર નથી.


                                                                                                                   ભાર્ગવ અધ્યારુ 

રવિવાર, એપ્રિલ 01, 2012

અભિનય સમ્રાટ ------પ્રાણ




પ્રાણ એટલે જીવન.

અભિનયના પંચ પ્રાણ (પ્રાણ, અપાન, ઉદાન, વ્યાન અને સમાન) જેનામાં પૂર્ણપણે વિદ્યમાન છે એમનું નામ પ્રાણ ક્રિશન સિકંદ.

છ દાયકાના બોલીવુડના બાદશાહ, મેટાલિક વોઈસના  માલિક અને સંવાદોના શહેનશાહ એટલે પ્રાણ.

આયુર્વેદાચાર્ય ઘસપસશંકર લસપસશંકરનું પ્રાણ સાહેબ વિષે કહેવું છે “ કંઈ કેટલાય પૂરી, કપૂર, ખાન ઈત્યાદિને ખરલ કરી ' ખલનાયકી'  નાં કવાથની સહસ્ત્ર ભાવના આપવામાં આવે તો ય પ્રાણ સાહેબ સમો ખલનાયક  નિષ્પન્ન નાં થઇ શકે.”  ભગવાન  શ્રી કૃષ્ણ જો આજે વિભૂતિયોગ કહે તો જરૂર એમ કહે " ખલનાયકો માં ' પ્રાણ' હું છું."

પ્રાણનો જન્મ ૧૨ મી ફેબ્રુઆરી, ૧૯૨૦ નાં દિવસે જૂની દિલ્હીમાં એક સાધન સંપન્ન પરિવારમાં થયો હતો. એમના પિતા ક્રિશન સિકંદ સિવિલ ઈજનેર હતા અને સરકારના રોડ અને બ્રીજ નાં ઠેકેદાર હતા. એમના પિતાજીની અલગ અલગ સ્થાનોએ બદલી થતી હોવાથી પ્રાણનું ભણતર પણ અલગ અલગ ઠેકાણે થયું હતું. ગણિત એ તેમનો પ્રિય વિષય હતો અને તે વિષયની માસ્ટરી એ તેમની કુદરતી ભેટ હતી.

પ્રાણ એ તેમની કારકિર્દી ની શરૂઆત દિલ્હીમાં એક ફોટોગ્રાફર તરીકે એ. દાસ એન્ડ કંપની માં કરી હતી. આ કામ માટે તેઓએ એક વાર સિમલા જવાનું થયું. આપને જાણીને આશ્ચર્ય થશે કે ભવિષ્યના આ ખૂંખાર વિલને સિમલામાં ‘રામલીલા’ નાં સ્ટેજ શો માં સીતાનું પાત્ર ભજવ્યું હતું જેમાં રામનો રોલ મદનપુરી એ અદા કર્યો હતો.
પ્રાણ એ ૧૯૪૫ માં શુક્લા અહલુવાલિયા સાથે લગ્ન કર્યાં હતા. તેમને  બે દીકરા નામે, અરવિંદ અને સુનીલ તથા એક દીકરી નામે પીન્કી છે. અરવિંદ Chemical Engineering  માં PhD. છે અને લંડનમાં સ્થાયી છે. સુનીલને ફિલ્મ ક્ષેત્રે ઝાઝી સફળતા મળી નથી. પીન્કી નામ મુજબ ગુલાબી જીવન જ જીવતી હશે.

પ્રાણને પ્રથમ રોલ એ ય વિલન તરીકેનો, વાલી મોહમમેદ વાલી ની સીફારીશથી દલસુખ પંચોલીની ફિલ્મ ‘યમલા જાટ’માં ૧૯૪૦ માં મળ્યો. આ ફિલ્મ સુપર હીટ પૂરવાર થઇ.અને પ્રાણ વિલન તરીકે પ્રસ્થાપિત થઇ ગયા. જો કે ૧૯૪૨ માં તેમણે હીરોની ભૂમિકા ફિલ્મ ‘ ખાનદાન ‘ માં નિભાવી. તેમની હિરોઈન હતી નૂરજહાં. અગાઉ નૂરજહાં એ પ્રાણ સાથે બાળકલાકાર તરીકે પણ કામ કર્યું હતું. લાહોરમાં તેમના નિવાસ દરમ્યાન તેમણે ૨૨ ફિલ્મોમાં અભિનય આપ્યો.

દેશના ભાગલા પડવાને કારણે , પ્રાણ ૧૪મી ઓગસ્ટ ૧૯૪૭ નાં દિવસે મુંબઈ આવ્યા. કેટલાક માસની સ્ટ્રગલ પછી તેમને બોમ્બે ટોકીઝ ની ફિલ્મ ‘ઝીદ્દી’ થી બ્રેક મળ્યો. દેવાનંદને પણ આ જ ફિલ્મથી મોટોમસ બ્રેક મળ્યો. કામિની કૌશલ આ ફિલ્મના નાયિકા હતા. ત્યારબાદ પ્રાણ સાહબે ક્યારેય પાછું વળીને જોયું નથી.. આઝાદી બાદ ૧૯૪૯માં આવેલી ફિલ્મ ‘બડી બહન’ એ તેમની ખૂબ જ સફળ ફિલ્મ રહી. ૧૯૫૦ થી ૧૯૬૦ નાં દશક દરમ્યાન પ્રાણ એ રાજકપૂર, દેવાનંદ અને દિલીપકુમાર સામે અસંખ્ય ફિલ્મોમાં સફળ વિલન નાં રોલ અદા કર્યાં. પ્રાણ ઉંમરમાં રાજકપૂર અને દિલીપકુમાર કરતા મોટા હતા છતાં તેમની ફિટનેસ ખૂબ જ સારી રહી અને રાજ અને દિલીપ અદોદળા થઇ ગયા. એટલે ત્યારબાદ પ્રાણ સાહેબે દેવાનંદ, શમ્મીકપૂર, જોય મુખરજી ,ધર્મેન્દ્ર, અને રાજેશ ખન્ના જેવા ટોચના નાયકો સામે ખલનાયક નાં રોલ અદા કર્યાં. પ્રાણ સાહેબનું મહેનતાણું ક્યારેક નાયક કરતા પણ વધુ રહેતું. પ્રાણ સાહેબની મહત્તા પણ નાયક કરતા ઓછી ન અંકાતી અને એટલેજ દરેક ફિલ્મના ટાયટલ માં પ્રાણ સાહેબના નામનો ઉલ્લેખ and Pran અથવાતો above all Pran એ પ્રમાણે થતો. પ્રાણ સાહેબે ૩૫૦ હિન્દી ફિલ્મોમાં અદાકારીના ઓજસ પાથર્યા છે જેમાંની મોટા ભાગની ફિલ્મો સુપર- ડુપર હીટ રહી છે. ૧૯૬૦ થી ૧૯૭૦ નાં દાયકામાં તેમણે બંગાળી ફિલ્મોમાં પણ અભિનય કર્યો હતો.

પ્રાણની અંદર છુપાયેલા અદાકારનાં આત્માને મનોજકુમારે બરાબર પીછાણ્યો. અને પ્રાણ સાહેબની ખલનાયકની પ્રતિમાને અને પ્રતિભાને ચરિત્ર અભિનેતાની મહોર લાગી. કરીઅરને યુ ટરન મળ્યો. ૧૯૬૭માં પ્રદર્શિત થયેલી મનોજકુમારની ફિલ્મ ‘ઉપકાર’ માં પ્રાણને ‘મંગલ ચાચા’ નો યાદગાર રોલ મળ્યો. અને હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ને મળ્યો એક અદભૂત ચરિત્ર અભિનેતા. તેમના પર ફિલ્માવેલું ગીત ‘ કસ્મે વાદ એ  પ્યાર વફા’ અવિસ્મરણીય બની ગયું. ત્યારબાદ પ્રાણ સાહેબે૧૯૬૭ થી ૧૯૯૭ દરમ્યાન  ચરિત્ર અભિનેતા તરીકે ઘણી બધી બોક્ષ્ ઓફીસ હીટ આપી.

પ્રાણ સાહેબે દાદામુની અશોકકુમાર સાથે ૨૫ કરતાવધુ ફિલ્મો કરી જે પૈકીની ‘ વિક્ટોરિયા નંબર ૨૦૩’ ની રાજા અને રાણાની જોડી અમર બની ગઈ. રીયલ લાઈફમાં પણ આ બન્ને પીઢ અભિનેતાઓ પરમ મિત્રો હતા. પ્રાણ સાહેબ અને બીગ બી પણ ખાસ મિત્રો છે. તેઓએ ડઝનેક ફિલ્મોમાં સાથે અભિનય કર્યો છે. ફિલ્મ ‘ઝંજીર’ માટે દેવાનંદ અને ધર્મેન્દ્રએ ઇન્સ્પેક્ટર વિજયનો રોલ નકાર્યો ત્યારે પ્રાણ સાહેબે પ્રકાશ મહેરાને અમિતાભનાં નામનું સૂચન કર્યું. અને હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ને મળ્યા ‘Star of the millennium’, ‘Villain of millennium’ નાં સૂચનથી. જયારે અમિતાભ તેમના ખરાબ સમયમાંથી પસાર થઇ રહ્યા હતા ત્યારે તેમની વિનંતીથી નાદુરસ્ત તબિયત હોવા છતાં પ્રાણ સાહેબે બીગ બી નાં હોમ પ્રોડક્સન ની ફિલ્મોમાં અભિનય આપ્યો. પ્રાણ સાહેબનો મનમોહન દેસાઈ સાથેનો નાતો તેમની પ્રથમ ફિલ્મ છલિયા થી માંડીને બ્લફ માસ્ટર, ધરમ વીર, નસીબ, અમર અકબર અન્થોની પર્યંત ચાલુ રહ્યો.

જગવિખ્યાત પ્રતિભાઓ જેવો ગેટ અપ પ્રાણ સાહેબે કેટલીક ફિલ્મોમાં અપનાવ્યો હતો. ફિલ્મ 'નિગાહે' માં રાજીવ ગાંધીના સલાહકાર સામ પિત્રોડા જેવો, ફિલ્મ 'જુગનું'માં બાંગલા દેશના પ્રથમ વડાપ્રધાન  શેખ મુજીબુર રેહમાન જેવો અને ત્રણેક ફિલ્મોમાં અમેરિકન  પ્રેસિડેન્ટ અબ્રાહમ લિંકન જેવો  ગેટ અપ ધારણ કર્યો  હતો.

"બરખુરદાર" શબ્દની પેટન્ટ તેમના નામે રજિસ્ટર છે. દરેક ફિલમ માં તેમનો સિગ્નેચર સંવાદ રહેતો જેનો તેઓ વિશેષ અદા સાથે વારંવાર ઉપયોગ કરતા. ચાણક્ય નું પાત્ર ભજવવાનું તેમનું સ્વપ્ન પૂરું ના થયું જે પાત્ર માટે તેમનો ખૂબ જ લગાવ હતો. ૧૯૬૦ થી ૧૯૭૦ન દશક દરમ્યાન સમગ્ર સમાજ ઉપર તેમની  વિલન તરીકેની અદાકારીનો  એવો આતંક અને ભય છવાયેલો હતો કે કોઈ માબાપ તેમના સંતાનનું નામ "પ્રાણ" રાખવા તૈયાર ન હતા.

સમયની બાબતમાં તેઓ ચુસ્ત હતા. કંટાળા જનક અને  ઘણા લાંબા મેક અપ અને વસ્ત્ર પરિધાન બાદ પણ  તેઓ સેટ પર સૌ પ્રથમ હાજર થઇ જતા. ભલે એમનો શોટ પૂરો થઇ જાય પણ તેઓ શૂટિંગ ના અંત સુધી હાજર રહેતા. ક્યારેય કોઈના કામમાં તેઓ દખલઅંદાજી ન  કરતા અને તો તેઓ કોઈને કોઈ સલાહ સુચન આપતા. તે ભલા અને તેમનું કામ ભલું.શૂટિંગ બાદ તેઓ ઉર્દુની શેરો-શાયરી અને ગઝલોથી અને હસી-મઝાક થી યુનિટના સભ્યોના દિલ જીતી લેતા.  શૂટિંગ બાદ સ્કોચ વિહ્સકી અને સ્મોકિંગ નો  આનંદ માણતા. સિગરેટના ધુમાડાની રીંગ કાઢવાની તેમની અનોખી અદા હતી જેનો ઉપયોગ તેમણે ફિલ્મોમાં પણ કર્યો છે.  


અમિતાભ બચ્ચને પ્રાણ સાહેબ વિષે જે લખ્યું છે તે આંશિક રૂપે અહી પ્રસ્તુત છે.

"Pran Saab has been colossus, his presence affecting myriad generations of film viewers. He has given cinema just that with his seamless artistry. Screen villainy is a thankless job which Pran saab accepted and carried out with such a degree of perfection that he became the actor that entire nation loved to hate. That indeed was the measure of his extraordinary success. He donned the mantle of a character artist with equal skill and felicity. Versatility became his imprimatur.He used his eyes, voice, diction, facial mobility and body language to a powerful effect.He would not do anything that was vulgar or unaesthetic.Pran saab is extremely shy. He has been one of my kindest guides and masters. Curiously ,Pran saab would never see his own films.Pran saab has led a life of self-respect and dignity.Regrettably, he has not received an iota of the recognition which he deserves in abundance.An artist of his stature would have been lionised in the U.S., Europe, wherever.Nothing can take away from Pran saab's boundless contribution to Indian cinema."


પ્રાણ સાહેબને ૧૯૬૭,૧૯૬૯, અને ૧૯૭૨ માં ઉત્તમ સહાયક અભિનેતાના ફિલ્મ ફેર અવોર્ડસ મળ્યા હતા. સને ૧૯૯૭ માં ફિલ્મ ફેર નો Life Time Achievement અવોર્ડ એનાયત થયો હતો. ૨૦૦૧ માં તેમને પદ્મ ભૂષણ ના ખિતાબ થી નવાજવામાં આવ્યા હતા. ૨૦૧૦ માં CNN  ના " Top 25 Asian actors of all time" ની યાદીમાં  તેમનું નામ સમાવિષ્ટ કરવામાં આવ્યું હતું.

ફિલ્મ કારકિર્દી ની  સથોસાથ પ્રાણ સાહેબે સામાજિક જવાબદારીઓ પણ  બખૂબી નિભાવી છે.

હાલ, ૯૨ વર્ષ વટાવી ચુકેલા પ્રાણ સાહેબનું સ્વાસ્થ્ય સારું રહે, એવી પ્રભુને પ્રાર્થના!


                                                                                                ભાર્ગવ  અધ્યારુ .

ગઈકાલે હિન્દી ફિલ્મોના પ્રાણ ઉડી ગયા અને હિન્દી સિનેમા રંક બની ગયું.
પ્રાણ સાહેબને દાદા સાહેબ એવોર્ડ આખરે અપાયો પણે એવે સમયે કે જયારે તેઓ તે ઉપલબ્ધિ ને સમજી શકે તેમ પણ ન હતા. પ્રાણ સાહેબને શ્રદ્ધાંજલિ રૂપે અગાઉનો બ્લોગ ફરી પબ્લીશ કરી રહ્યો છું.